Breaking News : AC માં બ્લાસ્ટ, અમદાવાદના મકરબા પાસે સોલિટેર બિલ્ડીંગમાં ભીષણ આગ, જુઓ Video

અમદાવાદના મકરબા અંડરપાસ નજીક એસજી હાઈવે પર આવેલી સોલિટેર નામની એક હાઈરાઈઝ બિલ્ડીંગમાં આજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડીંગમાંથી ધુમાડાના ગાઢ ગોટેગોટા બહાર નીકળતા દહેશતનો માહોલ છવાયો હતો.

આગની જાણ થતા જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પાણીના પ્રેશરથી આગ ઓલવવા ઉપરાંત, ધુમાડો બહાર કાઢવા માટે કાચ તોડી વેન્ટિલેશન કરવામાં આવ્યું હતું. ઉંચી ઇમારત હોવાથી, જરૂર પડ્યે રેસ્ક્યુ ઓપરેશન માટે હેવી લેડર મશીનને પણ કામે લગાડવામાં આવ્યું હતું, જેથી ઉપરના માળ પર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. તકેદારીના ભાગરૂપે એમ્બ્યુલન્સ સહિતની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, આગ બીજા અને ત્રીજા માળ પર લાગી હતી અને લગભગ બેથી ત્રણ માળ સુધી ફેલાઈ હતી. જોકે, અન્ય એક માહિતી અનુસાર આગ ચોથા અને પાંચમા માળ પર લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઓફિસના એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું મનાય છે. એક સ્થાનિકના જણાવ્યા મુજબ, બી બ્લોકમાં ઓફિસ નંબર 100ના એસીમાં આગ લાગી હતી, જે ધીમે ધીમે ફેલાઈ હતી.

મહત્વની વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાઈ રહ્યું છે. આજના દિવસમાં અમદાવાદમાં આગ લાગવાની આ બીજી ઘટના હતી. ગરમીના કારણે વીજ વપરાશમાં વધારો થતા ઇલેક્ટ્રિકલ ઓવરલોડિંગ જેવી ઘટનાઓ બની રહી છે, જે આગનું કારણ બની શકે છે.

સદનસીબે, ફાયર વિભાગની સમયસર કામગીરી અને બચાવ પ્રયાસોને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડીંગમાં હાજર તમામ લોકોને, જેમાં ઘણા ઓફિસના કર્મચારીઓ હતા, તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ધાબા પર ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ કનેક્ટિંગ ફ્લેટ્સ દ્વારા તેમને નીચે લાવવામાં આવ્યા હતા.

અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે ચોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *