Breaking News : જામનગરના રાજાપાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનની છત તૂટી પડતા ત્રણ વ્યક્તિઓ ઘાયલ, જુઓ Video

જામનગર શહેરના રાજાપાર્ક વિસ્તારમાં આવેલી રંગમતી સોસાયટીના શેરી નંબર-2માં એક ગંભીર દુર્ઘટના બની છે. આજે બપોરના સમયે એક રહેણાંક મકાનની છત અચાનક ધરાશાયી થતાં મકાનમાં રહેતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ભયનો સંચાર થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇજાગ્રસ્તો ભાડાના મકાનમાં રહેતા હતા. છત તૂટી પડતાં તેઓ કાટમાળ નીચે દટાયા હતા. ત્રણમાંથી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય બેને નાની-મોટી ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઝડપથી ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ હટાવીને દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ ત્રણેય ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું અને તેઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ પણ સક્રિય થયું હતું. જામનગર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે છત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં સામે આવ્યું છે કે આ મકાન જૂનું અને જર્જરિત હાલતમાં હતું. હાલમાં ચાલી રહેલા વરસાદી માહોલ અથવા વાતાવરણના કારણે પણ છત તૂટી પડી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જોકે પોલીસની સઘન તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.

આ ઘટનાએ શહેરમાં જર્જરિત મકાનોની સુરક્ષા અંગેના સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકો દ્વારા આવા જૂના અને જોખમી મકાનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

વડોદરા SSG હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, 6 ટીમો બનાવી શોધખોળ શરૂ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *