સામાન્ય રીતે શેરબજાર કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી જો લાખો રૂપિયાનો નફો થાય તો પણ સરકારી નિયમો મુજબ મોટો ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ જરા વિચારો કે કોઈ વ્યક્તિ 27 કરોડ રૂપિયાનો અધધ નફો કમાય, તેનાથી આલીશાન બંગલો પણ બનાવે અને છતાં તેણે સરકારને ટેક્સ તરીકે એક પણ રૂપિયો ન આપવો પડે તો? ડિજિટલ અને કાનૂની આઇડિયાના આ સમયમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા મોકલેલી કરોડોની નોટિસને ફગાવીને ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) ની કોલકાતા બેન્ચે મહિલા રોકાણકારને મોટી રાહત આપતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. શું છે સમગ્ર વિવાદ? કોલકાતાની રહેવાસી સરોજ ગોયન્કા (જેઓ જાણીતા ઇમામી ગ્રૂપના પ્રમોટર પરિવાર સાથે જોડાયેલા છે) તેમણે વર્ષ 2020 માં કંપનીના 36 લાખ શેર આશરે 33.77 કરોડ રૂપિયામાં વેચ્યા હતા. આ વેચાણથી તેમને 26.77 કરોડ રૂપિયાનો લોન્ગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) એટલે કે ચોખ્ખો નફો થયો હતો. નફો કમાયા બાદ તેમણે આ સમગ્ર રકમ કોલકાતાના પોશ વિસ્તાર ‘ક્વીન્સ પાર્ક’ માં એક આલીશાન રહેણાંક બંગલો બનાવવામાં રોકી દીધી. આ બંગલાનું બાંધકામ શેર વેચ્યાની તારીખથી નિયમ મુજબ 3 વર્ષની અંદર (જૂન 2022 માં) પૂરું થઈ ગયું હોવાથી, તેમણે ઇનકમ ટેક્સ એક્ટની કલમ 54F હેઠળ 100% ટેક્સ મુક્તિનો દાવો કર્યો હતો. આવકવેરા વિભાગના 3 આક્ષેપો જેને કોર્ટે ફગાવી દીધા ઇનકમ ટેક્સ અધિકારીએ આ દાવો નકારી કાઢ્યો હતો અને 3 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ નોટિસ ફટકારી હતી. વિભાગની ત્રણ મુખ્ય આપત્તિઓ હતી, જેને ITAT એ કાનૂની દલીલોના આધારે સંપૂર્ણપણે ફગાવી દીધી: વિભાગનો આક્ષેપ: મહિલા પાસે પહેલાથી બે પ્રોપર્ટી હતી, તેથી છૂટ ન મળી શકે. કોર્ટનો ચુકાદો: ટ્રિબ્યુનલે નોંધ્યું કે પહેલી પ્રોપર્ટી ખાલી ઔદ્યોગિક જમીન હતી, રહેણાંક ઘર નહીં. જ્યારે બીજી પ્રોપર્ટી પરિવાર સાથે સંયુક્ત માલિકીની હતી. કાયદા અનુસાર, સંયુક્ત મિલકતના સહ-માલિક હોવા માત્રથી તમને આ ટેક્સ છૂટથી વંચિત રાખી શકાય નહીં. વિભાગનો આક્ષેપ: બંગલાનું બાંધકામ શેર વેચ્યાના કેટલાય વર્ષો પહેલાં જ શરૂ થઈ ગયું હતું. કોર્ટનો ચુકાદો: ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે કલમ 54F ની શરત માત્ર એટલી જ છે કે બાંધકામ શેર વેચ્યાના 3 વર્ષની અંદર પૂરું થઈ જવું જોઈએ. કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે બાંધકામ શેર વેચ્યા પછી જ શરૂ થવું જોઈએ. વિભાગનો આક્ષેપ: શેર વેચવાથી મળેલા પૈસા સીધા જ સિમેન્ટ-ઈંટ કે બાંધકામના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા નહોતા. કોર્ટનો ચુકાદો: કોર્ટે ઐતિહાસિક વલણ અપનાવતા કહ્યું કે કાયદામાં ફંડની એક-એક લાઇન ટ્રેક કરવી જરૂરી નથી. મહત્વનું માત્ર એટલું જ છે કે રોકાણકારે નફા જેટલી રકમ નવા ઘરમાં વાપરી હોય, પછી ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય. શું છે આ ‘સેક્શન 54F’ નો નિયમ? ઇનકમ ટેક્સની કલમ 54F હેઠળ જો કોઈ વ્યક્તિ ઘર સિવાયની અન્ય કોઈ મિલકત (જેમ કે શેર, મ્યુચ્યુઅલ ફંડ, સોનું અથવા બોન્ડ) વેચે છે, તો તેનાથી થતા લોન્ગ-ટર્મ નફા પર ટેક્સ છૂટ મેળવી શકે છે. આ માટે શરત એ છે કે નફાની રકમને શેર વેચવાના 01 વર્ષ પહેલાં અથવા 02 વર્ષની અંદર નવું ઘર ખરીદવામાં, અથવા 03 વર્ષની અંદર નવું ઘર બનાવવામાં રોકવી પડે છે. પરંતુ હવે બદલાઈ ગયો છે નિયમ બજેટ 2023 પછી સરકારે આ નિયમમાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે. હવે કલમ 54F હેઠળ ટેક્સ મુક્તિની મહત્તમ મર્યાદા 10 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે. એટલે કે, વર્તમાન સમયમાં જો 10 કરોડ રૂપિયાથી વધુનો નફો થાય, તો તેના પર ટેક્સ ચૂકવવો જ પડશે. વેદાંતાના શેર બન્યા રોકેટ: સેગમેન્ટ બદલાતા જ રોકાણકારો તૂટી પડ્યા, ચાર કંપનીઓમાં 20% ની તોફાની તેજી Post navigation 19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું, જુઓ Video ઘરમાં અચાનક વંદાઓની સંખ્યા વધવી એ સામાન્ય વાત નથી, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત હોઈ શકે છે રાહુના પ્રકોપનો